બુધવાર, 19 જૂન, 2019

ભીમ અગિયારસ જેઠ સુદ અગિયારસ

આજે જેઠ સુદ અગીયારશ
પરંપરાગત રીતે લોકજીવન માં ભીમ એકાદશી ના નામે ઓળખાય છે.
પૌરાણિક કાળ ના પ્રભાવ માં નિર્જળા  એકાદશી  તરીકે ઓળખાય છે અને સ્વાસ્થ્ય  ની દ્રષ્ટિએ  કેરી નું મહત્વ જોડાયેલ છે.
કહેવાય છે કે મહાભારત ની કથા નું એક પાત્ર  ભીમ ને ભૂખ જબરી લાગતી  એ ઘણું ખાતો આથી  એને वृकोदर  નામ અપાયેલ.

वृक નો સંસ્કૃત માં અર્થ... 
શિકાર ને ચૌતરફ થી ઘેરી ને છીનવી ને ઝપટ  મારી ને ખાતું  પ્રાણી જેમાં વરૂ, કૂતરૂ  અને શિયાળ  નો સમાવેશ થાય છે.
આવી તીવ્ર જઠરાગ્નિ  વાળી વ્યક્તિ  ને વૃકોદર  કહેવામાં આવે છે એટલે કે એના પેટ માં वृकः  નામે અગ્નિ રહેલ હોય છે.

ભીમ ભુખ ને સહન ના કરી શકનાર વ્યક્તિ તરીકે નું રૂપક કથાનક માં દર્શાવેલ  છે. એમ છતાંય એને સંજોગાવસાત્  જેઠ સુદ અગિયારસ ના દિવસે પાણી પણ પીધા વિના ઉપવાસ થઇ ગયેલ આથી આ એકાદશી ને નિર્જળા ભીમ એકાદશી પુરાણકારો ના મતે કહે છે. ઉદેશ્ય તો માત્ર અગિયારસ  નો સ્વાસ્થય રક્ષા  માટે ઉપવાસ કરવા ઉત્સાહિત  કરવાનો છે ; ભીમ જો અગિયારસ કરી શકે તો પછી કોઇપણ ખાઉધરા વ્યક્તિ પણ કરી શકે...

અત્યારે ગ્રીષ્મ  નો ઉતરાર્ધ  ૠતુકાળ ચાલે છે. જેઠ વદ આઠમ ( ઉત્તર ભારત માં અષાઢ નો વદ પક્ષ  ગણાય છે ) થી અષાઢ સુદ સાતમ સુધી ના પંદર દિવસ નો ગાળો  ગ્રીષ્મ-વર્ષા  નો ૠતુસંધીકાળ  ગણાય છે.ૠતુસંધીકાળ માં સ્વાસ્થય રક્ષા માટે ગ્રહણ કરતાં અને પાચન થતાં ભોજન પર ખાસ ધ્યાન આપવું જરૂરી બને છે અને એ માટે ઉપવાસ નું વ્રત રૂપે માહત્મ્ય  શાસ્ત્રો માં દર્શાવેલ છે. માઁ શક્તિ ની નવરાત્રી ની ઉપાસના પણ સ્વાસ્થયરક્ષણ  કાજે છે આ અષાઢ  માં પણ નવરાત્રી  આવે છે.

વર્ષામાં વાદળ,ભેજ,તોફાનીપવન અને વરસાદ ના પ્રકૃતિગત  ફેરફાર ની અસર થી માનવ શરીર નો   સ્વાભાવિક  જઠરાગ્નિ  મંદ પડે છે. એટલે વધુ ભોજન પણ અપચો  કરી ને વિકાર ઉત્પન્ન  કરે છે.

આ અગીયારશ થી ભોજન  ની માત્રા ઓછી કરતાં જવા નું છે. અને એની શરૂઆત  માં આજ ના દિવસે  निः + जल = निर्जला  પાણી પણ પીવું નહી એ પ્રકારે એક દિવસ તપ કરવાનું છે.

આજ નો મહિમા કેરી સાથે વર્ણવેલ છે. ગુજરાતી માં કેરી શબ્દ આંબા ના ફળ માટે છે. ફળ નો આકાર પ્રાચીન કાળ માં બાવડા  પર ધારણ કરતાં બાજુબંધ ; એક ઘરેણાં केयूर ના જેવો છે આથી ગુજરાતી  માં કેયૂર નું કેરી થઇ ગયું  અને आम्र નું આંબો.
આમ્ર શબ્દ ...આ વૃક્ષ  ના પંચાગ  અમ્લ એટલે કે ખાટાં હોવાને કારણે પડેલ છે.

જેઠ માસ માં ગરમી થી આમ્રફલ  એટલે કે કેરી કુદરતી  રીતે પક્વ  થઇ ને અમ્લ માંથી મધુર બનતાં સ્વાદુ  થાય છે. આથી જેઠ સુદ  અગિયારસ થી શ્રી હરિ ના ચરણે ફળો નો રાજા પકવ કેરી ધરી ને પ્રસાદ રૂપે આરોગાય  છે.

આરોગ્ય ની દ્રષ્ટિએ કેરી નું  પોષણમુલ્ય ઘણું વધારે છે અને આ ગ્રીષ્મ માં બળ આપનાર પણ છે. કેરી ના રસ આયુર્વેદ દ્રષ્ટિકોણ થી  बल्य, गुरु,  वातहर, सरः, बृहण છે. પણ વધુ ખાવાથી અરૂચી (अहृद) પેદા કરે છે અને કફવધારે છે. 

પાકી કેરી માં કાર્બોદિત  અને પ્રોટીન ઉપરાંત ફેટ પણ છે. વિટામીન A અને C ની સાથે વિટામીન B ગ્રુપ ના નિકોટીનીક એસીડ અને રીબોફલેવીન  પણ છે.
તાજેતર ના કૃષિ યુનિવર્સિટી  ઓના વૈજ્ઞાનિક  સંશોધન માં કેરી ની ગોટલી વિટામીન B-12 નો ઉત્તમ સ્ત્રોત છે એવું સાબિત થયેલ છે.
આયુર્વેદિય મત પ્રમાણે  કેરી
મધુરઅમ્લકષાય રસ સાથે શિતવીર્ય  ધરાવે છે પચવામાં થોડી ગુરૂ  છે.
આમ્રવૃક્ષ  ના બધાજ અંગો ઓષધીય ઉપયોગીતા દર્શાવેલ છે. જાણી ને આશ્ચર્ય થાય કે કેરી ની ગોટલી માંથી નીકળતા તેલ ના ગુણો निघंटु रत्नाकर  માં દર્શાવેલ  છે. જે મુખરોગ  અને મોઢાં ની દુર્ગંધ દૂર કરવા પ્રયોજાતુ  હતુ.

લોકમાન્યતા છે કે, વધુ કેરી ખાવા થી ખાસ કરીને બાળકો ની ત્વચા પર ગડગુમંડ જેવા વિકારો થાય છે. આ ૠતુ માં આવા ચર્મ વિકાર પર આંબા  ના પાન થી ઉકાળેલા પાણીથી સ્નાન કરવું અને વિકાર ગ્રસ્ત ભાગ પર આંબા નો ગુંદર ને ગેરૂ અને મધ માં મિક્સ કરી ને બાહ્ય લેપ કરવો.

કેરી નો રસ ખાધા પછી પાણી પીવું બેસ્વાદ  લાગે છે; એટલે કે પ્રકૃતિ નો આદેશ પણ છે કે કેરી રસ ખાધા-પીધા પછી વધુ પાણી પીવું શ્રેયકર નથી.
આથી કદાચ જેઠ સુદ અગિયારસ ના માહાત્મ્ય માં કેરી ની સાથે નિર્જલ પણ ઉમેરાયું  હશે.
કુદરતી  રીતે પક્વ કેરી ખાવા નો સમય જેઠસુદી  અગિયારસ  થી થાય છે. તો આવતી અગિયારસ સુધી નિત્ય પક્વ કેરીરસ  નો આસ્વાદ માણીએ  અને ભોજન પછી અત્યાધિક પાણી ના પીવા નો નિયમ રાખીએ.
ગુજરાતી પ્રજા માં ખૂબ જ પ્રિય  કેરી કેસર છે... સિઝન ની શરૂઆત માં ગીર- જુનાગઢ  ની
કેસર બજાર માં આવે છે . સિઝન પૂરી થવા લાગે એટલે મોટા ફળ સાથેની મીઠી ;  કચ્છ ની કેસર જોવા મળે  છે. પાકી કેસર ની બાહ્ય છાલ તો લીલી હોય છે પણ અંદર નો ગર કેસરી અને મીઠો હોય છે.
બનારસીલંગડો પ્રજાતિ ની કેરી માં વરસાદ પડયા પછી પણ અન્ય કેરી ની જેમ અણગમતો સ્વાદ અને ગંધ આવતો નથી. આ જ પ્રજાતી  ની કેરી ગુજરાત માં વલસાડ  થી આવે છે. 
મહુવા ની જમાદાર કેરી ભાવનગર ના રાજવી કૃષ્ણકુમારસિંહજી ના સમય ની કેસર અને લંગડા ની હાઇબ્રીડ પ્રજાતી છે.
દેશી નાની અને હાથ થી ઘોળીને ચૂસવા વાળી કેરીઓ આજે જોવા મળતી નથી એનો ખટમધુરો  સ્વાદ સ્વપ્નું  બની ગયો  છે.
તો બજાર માં હાફુસ ને શો પીસ તરીકે ગોઠવી કેરી ના કહેવાતા  રંગ, રૂપ, સ્વાદ વિનાની  બદામકેરી માં કૃત્રિમ એસેન્સ  રંગ નાંખી ને ગ્લાસ માં કેરી નો રસ વેચાણ થાય છે.
             🙏શ્રી હરિ🙏

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...